મહેસાણામાં કાળમુખી દુર્ઘટના: રેલવે ટ્રેક પર માલગાડીની અડફેટે આવતા 3 માસૂમ બાળકોના કમકમાટીભર્યા…

2 Min Read

મૃતદેહોને પોટલામાં બાંધીને પોસ્ટ મારતમ માટે લઈ જવાયા

મહેસાણા જિલ્લાના શોભાસણ ગામ નજીક એક અત્યંત આઘાતજનક અને હૃદયદ્રાવક અકસ્માત સામે આવ્યો છે. ગામ પાસેથી પસાર થતી રેલવે લાઈન પર અચાનક આવેલી માલગાડીએ ત્રણ માસૂમ સગીરોનો ભોગ લીધો છે. આ કાળજું કંપાવી દે તેવી ઘટનામાં ત્રણેય કિશોરોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુઃખદ ઘટના સાંજના આશરે ૪:૨૬ વાગ્યાના સુમારે બની હતી. શોભાસણ ગામના ઠાકોર વાસ વિસ્તારમાં રહેતા આ ત્રણ કિશોરો કોઈ કામ અર્થે કે અજાણતા રેલવે ટ્રેક પસાર કરી રહ્યા હતા. બરાબર એ જ સમયે ટ્રેક પરથી પૂરપાટ ઝડપે એક માલગાડી આવી રહી હતી. બાળકો પરિસ્થિતિનો તાગ મેળવે અને પોતાનો બચાવ કરે તે પહેલાં જ ટ્રેન કાળ બનીને તેમના પર ફરી વળી હતી. માલગાડીની ટક્કર એટલી ભયાનક હતી કે ત્રણેય માસૂમ બાળકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઊડી ગયા હતા.

આ ગોઝારી ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને ગ્રામજનોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. મૃતક બાળકોના પરિવારોને આ દુર્ઘટનાની જાણ થતાં તેમના પર જાણે આભ તૂટી પડ્યું હતું. સંતાનો ગુમાવનારા માતા-પિતા અને પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. હસતા-રમતા યુવાન બાળકો અચાનક કાળનો કોળિયો બની જતાં શોભાસણ ગામમાં સન્નાટો છવાઈ ગયો છે.

આવી ગંભીર ઘટના બન્યા બાદ તુરંત જ રેલવે પોલીસ અને સ્થાનિક પ્રશાસનને જાણ કરવામાં આવતા અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહોનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે, તેમજ આ અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તેની વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

Share This Article