રાધનપુરમાં ગંદકી અને બિસ્માર રૉડ-રસ્તાઓ મુદ્દે જનઆક્રોશ ફાટ્યો : નગરપાલિકા પ્રમુખ સામે રહીશોનો ઉગ્ર…

3 Min Read

“વોટ વિકાસ માટે આપ્યા છે,પોલીસ ની ધમકી માટે નહીં” : રહીશો અને નગરસેવક જયાબેનનો આક્રોશ, પાલિકા તંત્ર સામે ભારે રોષ

રાધનપુરમાં પ્રજાનો આક્રોશ એટલો ફાટ્યો કૅ : પ્રશ્નો સાંભળવાને બદલે પાલિકા પ્રમુખ ખુરશી છોડી જતા રહ્યા, નગરપાલિકા કચેરીમાં તું-તું મેં-મેંના દ્રશ્યો સર્જાયા- ગંદકી, ખરાબ રસ્તા અને વિકાસના પ્રશ્ને ઉગ્ર વિરોધ

રાધનપુર શહેરમાં લાંબા સમયથી યથાવત રહેલી ગંદકી, તૂટી ગયેલા રસ્તાઓ અને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઈને આખરે પ્રજાનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. અંજુમન સ્કૂલ, જેપી સ્કૂલ, કન્યાશાળા અને કેબી સ્કૂલના વાલીઓ, સ્થાનિક રહીશો તથા નગરસેવક જયાબેનના નેતૃત્વમાં મોટી સંખ્યામાં લોકો નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને શહેરના પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી. અનેક આવેદનપત્રો, રજૂઆતો અને ફરિયાદો છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકીના ઢગલા, ખરાબ રસ્તાઓ અને અન્ય સમસ્યાઓ યથાવત રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત દરમિયાન નગરસેવક જયાબેને અગાઉ આપવામાં આવેલા આવેદનોનો ઉલ્લેખ કરીને સવાલ ઉઠાવ્યો હતો કે જો કામગીરી જ ન કરવી હોય તો વારંવાર લેખિત રજૂઆતો મંગાવવાનો અર્થ શું છે? આ દરમિયાન કચેરીમાં વાતાવરણ ગરમાયું હતું અને તું-તું મેં-મેંના દ્રશ્યો સર્જાયા હતા. લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવાને બદલે ચર્ચા વધુ ઉગ્ર બનતા લોકોમાં અસંતોષ ફેલાયો હતો.રહીશોના આક્ષેપ મુજબ, પ્રજાના પ્રશ્નો સાંભળવા અને તેનો ઉકેલ શોધવાના બદલે નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોષી બેઠકમાંથી ઊભા થઈ ખુરશી છોડી જતા રહ્યા હતા. જેના કારણે રજૂઆત કરવા આવેલા લોકોમાં વધુ રોષ ફેલાયો હતો. લોકોનું કહેવું હતું કે શહેરની પ્રજાની વાજબી સમસ્યાઓ સાંભળવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જવાબદારી નિભાવે તે જરૂરી છે.

આ દરમિયાન લોકો દ્વારા “કામ કરો… કામ કરો…” ના નારા લગાવવામાં આવ્યા હતા. રહીશોએ જણાવ્યું હતું કે જનતાએ મત વિકાસ અને સુવિધાઓ માટે આપ્યા છે, ધમકીઓ સાંભળવા માટે નહીં. શહેરમાં ગંદકી અને ખરાબ રસ્તાઓને કારણે ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હોવા છતાં તંત્ર ગંભીરતા દાખવી રહ્યું નથી. નગરપાલિકા કચેરી ખાતેની રજૂઆત બાદ નગરસેવક જયાબેન અને સ્થાનિક રહીશો ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કરને રજૂઆત કરવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જોકે રહીશોના જણાવ્યા મુજબ તેઓને મળવાને બદલે દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાથી પણ લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

પ્રદર્શન દરમિયાન રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે શહેરના પ્રશ્નો હવે સહનશક્તિની બહાર પહોંચી ગયા છે. વારંવાર રજૂઆતો છતાં જો તંત્ર કામગીરી નહીં કરે તો પ્રજા રસ્તા પર ઉતરવા મજબૂર બનશે. નગરસેવક જયાબેન અને સ્થાનિક રહીશોએ ચેતવણી આપી હતી કે આગામી ત્રણ દિવસમાં ગંદકી, રસ્તા અને અન્ય પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.

Share This Article