જુનાડીસાના નવાપુરા વિસ્તારના લોકો દૂષિત પાણી પીવા મજબૂર, પંચાયત સામે…

1 Min Read

દૂષિત પાણી પીવાથી ચામડીના રોગ વધ્યાના આક્ષેપ

ડીસા તાલુકાના જુનાડીસા ગામના નવાપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. મુખ્યત્વે શ્રમજીવી અને સામાન્ય વર્ગના લોકો વસવાટ કરતા આ વિસ્તારમાં ગ્રામ પંચાયતના વોટર વર્ક્સ મારફતે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ હાલમાં લોકો સુધી પહોંચતું નર્મદાનું પાણી ડહોળું અને દૂષિત આવે છે.જે પીવાલાયક નથી.સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ નળોમાંથી આવતા પાણીમાં ગંદકી, માટી તેમજ દુર્ગંધ આવતી હોવાથી આ પાણી પીવા તેમજ ઘરેલુ ઉપયોગ માટે પણ અયોગ્ય બની ગયું છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

રહીશોએ આક્ષેપ કર્યો છે કે દૂષિત પાણીના કારણે ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધોમાં ચામડી સંબંધિત બીમારીઓ તેમજ ખંજવાળ જેવી તકલીફોમાં વધારો થયો છે. ગરીબ અને શ્રમજીવી વર્ગ માટે રોજિંદા કામકાજ વચ્ચે શુદ્ધ મિનરલ પાણી ખરીદવું મુશ્કેલ બનતું હોવાથી લોકો મજબૂરીમાં આ જ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. વિસ્તારના લોકોનું કહેવું છે કે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શુદ્ધ પાણી ન મળતા પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ત્યારે ગ્રામ પંચાયતના સત્તાધીશો માનવીય અભિગમ દાખવી તાત્કાલિક પાણીની ગુણવત્તાની તપાસ કરાવે અને નવાપુરા વિસ્તારમાં સ્વચ્છ તથા શુદ્ધ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

Share This Article