સુઈગામના સરહદી ગામોની પાઇપલાઇનમાંથી ગેરકાયદે કનેક્શનો…

2 Min Read

સુઈગામ તાલુકાના સરહદી છેવાડાના ગામોમાં છેલ્લા એક માસથી પીવાના પાણીની સમસ્યાને ધ્યાને રાખી તંત્ર દ્વારા કાળઝાળ ગરમી દરમિયાન ગ્રામજનોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તે માટે ટેન્કર દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે, સાથે જ પાણીની પાઇપ લાઇનોમાં બિન અધિકૃત કનેક્શનો સામે વહિવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા એક સપ્તાહમાં 25 થી વધુ ગેરકાયદેસર કનેક્શનો કાપી નોટિસ આપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે,

પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર ગોરાંગ રાણા ,નાયબ કાર્યપાલક ઇજનેર એન.ટી.પરમાર,મદદનીશ ઇજનેર વક્ષદાબેન કાપડી સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સુઈગામ તાલુકાના નવાપુરા, મોતીપુરા, બેણપ, નેસડા, ગોલપ, કાણોઠી સહિતના ગામોમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન પાઇપલાઇનમાં બિનઅધિકૃત રીતે લેવામાં આવેલા કનેક્શનો મળી આવતા તાત્કાલિક અસરથી તે કનેક્શનો કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા એક સપ્તાહ દરમ્યાન 25 થી વધુ અનધિકૃત કનેક્શનો કાપવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું, પાણી વિતરણની વ્યવસ્થા સંભાળતી દિવ્યા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા ગેરકાયદેસર કનેક્શનો ધરાવતા ઇસમોને નોટિસ ઇસ્યૂ કરવામાં આવી હતી,

આ બાબતે કાર્યપાલક ઇજનેર ગૌરાંગ રાણાએ જણાવ્યું હતું કે, હજુ પણ બિનઅધિકૃત કનેક્શનો કાપવાની કામગીરી ચાલુ રહેશે, સંબંધિત બિન અધિકૃત કનેક્શનો ધરાવનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. ઉનાળાના સમયમાં કોઈપણ ગામ કે વિસ્તારમાં પાણીની અછત સર્જાય નહીં અને લોકોને પૂરતું પાણી મળી રહે ,પાણી માટે લોકોને હાલાકી ભોગવવી ન પડે તે માટે વહિવટી તંત્ર દ્વારા સઘન દેખરેખ અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

Share This Article