ભાભર તાલુકાના તનવાડ ગામે વાવાઝોડામાં મૃત્યુ પામેલ મહિલાના પરિવારને રૂ. 4 લાખની સહાય…

1 Min Read

ગત તા. 2-6-2026ના રોજ ભાભર તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં આવેલા વાવાઝોડા અને વરસાદ દરમિયાન ભારે પવન ફૂંકાતા અનેક સ્થળોએ નુકસાન થયું હતું. અનેક મકાનોના પતરા ઉડી ગયા હતા. તેમજ વૃક્ષો ધરાશાયી થયા હતા.આ દરમિયાન ભાભર તાલુકાના તનવાડ ગામે લીમડાનું ઝાડ પડી જતા ઝાડ નીચે રહેલા કાસુબેન શોભાજી વાઘેલાનું દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતે મૃત્યુ થયું હતું.

આ માનવ મૃત્યુની ઘટનાને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા અંગત રસ દાખવી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમના પ્રયાસોથી સરકારના રાહત ફંડમાંથી મૃતકના પરિવારજનો માટે રૂ. 4 લાખની સહાય માત્ર ચાર દિવસમાં મંજૂર કરવામાં આવી હતી. આ સહાયનો ચેક આજે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે મૃતકના વારસદારોને અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કાપડી, પીરાજી ઠાકોર, ભાભર તાલુકા પંચાયત પ્રમુખ, ભાભર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી સ્વરૂપજી ઠાકોરે પરિવારજનોને સાંત્વના પાઠવી સરકાર તેમની સાથે હોવાનું જણાવી સહાયરૂપ બનવાની ખાતરી વ્યક્ત કરી હતી. આ ઝડપી સહાયથી પરિવારજનોમાં રાહતની લાગણી જોવા મળી હતી.

Share This Article