હિંમતનગર ખાતે રૂ. ૭૪ કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન 'જિલ્લા ન્યાય મંદિર'નું ભવ્ય…

3 Min Read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓની ગરિમામય ઉપસ્થિતિમાં હિંમતનગરને મળી નૂતન ન્યાય સંકુલની ભેટ

સાબરકાંઠા જિલ્લામાં ૧૦ વર્ષથી વધુ જૂના માત્ર ૫૫ કેસો બાકી; નવી ૧૮ અદ્યતન કોર્ટ દ્વારા નાગરિકોની સુખાકારીમાં વધારો થશે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રૂ. ૭૪ કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલા નૂતન જિલ્લા ન્યાય મંદિરનું ભવ્ય લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ તકતીનું અનાવરણ કરીને કર્યું હતું. જયારે શિક્ષણ વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા, ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ શ્રી એ.વાય. કોગજે અને સાબરકાંઠા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જજ શ્રી હેમંત પ્રચ્છક હિમંતનગર ખાતે ઉપસ્થિત રહીને લોકાર્પણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ નવનિર્મિત બિલ્ડીંગમાં ૧૮ જેટલી કોર્ટ એકસાથે કાર્યરત થઈ શકશે, જે નાગરિકોને ઝડપી અને પારદર્શક ન્યાય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલ સંબોધનમાં સાબરકાંઠા જિલ્લાની ન્યાયિક કામગીરીની સરાહના કરતા જણાવ્યું હતું કે રાજ્યની અન્ય કોર્ટની સરખામણીએ સાબરકાંઠામાં ૧૦ વર્ષથી જૂના માત્ર ૫૫ કેસો જ પેન્ડિંગ છે, જે ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે. તેમણે આ સંકુલમાં શરૂ થયેલા મીડિયેશન સેન્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ અંગે માહિતી આપતા કહ્યું હતું કે આનાથી કાયદાની આંટીઘૂંટી ગરીબ અને સામાન્ય નાગરિકો સરળતાથી સમજી શકશે. મંત્રીએ વકીલોને ડ્રગ્સના દૂષણ સામેની લડાઈમાં સહયોગ આપવા અને પીડિતોને ઝડપી ન્યાય અપાવવા માટે સામાજિક જવાબદારી નિભાવવા વિનંતી કરી હતી.

ગુજરાત હાઇકોર્ટના જજ શ્રી હેમંત પ્રચ્છકે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતનો મુખ્ય ધ્યેય છેવાડાના માનવી સુધી ન્યાય પહોંચાડવાનો છે. આ નવું સંકુલ શુદ્ધ પાણી, મહિલાઓ માટે બેઠક વ્યવસ્થા, બાળકો માટે ઘોડિયારઘર અને દિવ્યાંગો માટે રેમ્પ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમણે ઉમેર્યું હતું કે જ્યાં ધર્મ છે ત્યાં વિજય નિશ્ચિત છે અને ન્યાયની ભાવના સાથે કામ કરવાથી લોકોનો ન્યાયતંત્ર પરનો ભરોસો વધુ મજબૂત બનશે. જિલ્લામાં હાલ કુલ ૨૩ ન્યાયિક અધિકારીઓ કાર્યરત રહીને ન્યાયિક કામગીરી સંભાળી રહ્યા છે. જિલ્લાની તમામ અદાલતોમાં કુલ મળીને ૨૨,૫૯૦ કેસો પેન્ડિંગ છે. સમગ્ર ગુજરાતભરની અદાલતોની સરખામણીએ સાબરકાંઠા કોર્ટે સક્રિયતા દાખવીને ૧૦ વર્ષથી જૂના કેસોનો મહત્તમ નિકાલ કર્યો છે. જેના પરિણામે સમગ્ર જિલ્લામાં ૧૦ વર્ષથી જૂના માત્ર ૫૫ કેસો જ પેન્ડિંગ રહ્યા છે, જે ન્યાયતંત્રની ગતિશીલતા સૂચવે છે.

અંદાજિત રૂ. ૭૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા આ અદ્યતન સંકુલમાં એકસાથે ૧૮ કોર્ટો કાર્યરત થઈ શકે તેવી વ્યવસ્થા છે. જેમાં વિશાળ સેમિનાર રૂમ, કોન્ફરન્સ રૂમ, લોક અદાલત રૂમ, મીડિયેશન સેન્ટર, વકીલો માટે બાર રૂમ, ઘોડિયાર ઘર, સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર, દિવ્યાંગો માટે રેમ્પ અને આધુનિક વીડિયો કોન્ફરન્સિંગ રૂમની સુવિધા ઉપલબ્ધ છે, જેનાથી પોલીસ અને ડોક્ટર જેવા સાક્ષીઓ પોતાની ફરજના સ્થળેથી જુબાની આપી શકશે.

આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા કોર્ટના જજ શ્રી કે. આર. રબારી, જજ શ્રી સી.પી. ચારણ, સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વી.ડી. ઝાલા, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ અરૂણા કડિયા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, જિલ્લાની અન્ય કોર્ટના સર્વે જજશ્રી, બાર એસોસિએશનના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા હતા.

Share This Article