બ.કાં.ના ડીપીઈઓના પરિપત્ર સામે શિક્ષકો…

3 Min Read

શાળા સમય દરમિયાન વસ્તી ગણતરી પર રોક:મોબાઈલ જમા કરાવવાના આદેશથી શિક્ષકોમાં રોષ

પરિપત્ર સામે શિક્ષક સંઘોએ ઉઠાવ્યો અવાજ:વસ્તી ગણત્રી માટે ઓન ડ્યુટી લાભ આપવાની માંગ

બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બહાર પાડવામાં આવેલા એક પરિપત્રને લઈને હવે શિક્ષકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. શિક્ષણ કાર્યમાં અવરોધ ન આવે તે માટે ડીપીઇઓ દ્વારા શાળા સમય દરમિયાન વસ્તી ગણતરીની કામગીરી નહીં કરવા, શિક્ષકોના મોબાઈલ ફોન આચાર્ય પાસે જમા કરાવવા તેમજ શાળા સમય દરમિયાન જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ જેવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જોકે, આ પરિપત્ર સામે બનાસકાંઠા જિલ્લા શિક્ષક સંઘ સહિત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વાંધો ઉઠાવી જિલ્લા શિક્ષણ કચેરીએ રજૂઆત કરતા મામલો ગરમાયો છે.

બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુભાઈ પટેલ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, શાળાના બાળકોના શિક્ષણ કાર્યને કોઈપણ પ્રકારની અસર ન થાય તે માટે વસ્તી ગણતરી સહિતની કામગીરી શાળા સમય પહેલાં અથવા શાળા સમય પૂર્ણ થયા બાદ જ કરવી પડશે.પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે, શાળા સમય દરમિયાન શિક્ષકો દ્વારા મોબાઈલ ફોનનો ખાનગી ઉપયોગ નહીં કરી શકાય અને તમામ શિક્ષકોએ શાળા શરૂ થતાં પોતાનો મોબાઈલ ફોન આચાર્ય પાસે જમા કરાવવાનો રહેશે. ઉપરાંત નિવૃત્તિ સમારંભ, વિદાય સમારંભ અને અન્ય જાહેર કાર્યક્રમોનું આયોજન પણ શાળા સમય દરમિયાન કરી શકાશે નહીં.

જોકે, ડીપીઇઓના આ પરિપત્ર બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આગેવાનો અને શિક્ષકો જિલ્લા શિક્ષણ કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ રજૂઆત કરી હતી. શિક્ષક સંઘનું કહેવું છે કે વસ્તી ગણતરી 2027 અંતર્ગત શિક્ષકોને સોંપવામાં આવેલી કામગીરી માટે તેઓ ગામે ગામ અને મહોલ્લે મહોલ્લે ફરીને કામગીરી કરી રહ્યા છે.બનાસકાંઠાના અમીરગઢ, દાંતા જેવા અંતરિયાળ વિસ્તારોમાં ઘરો વચ્ચે લાંબું અંતર હોવાથી માત્ર શાળા સમય બાદ કામગીરી પૂર્ણ કરવી મુશ્કેલ બની શકે છે. તેથી શિક્ષકોને વસ્તી ગણતરી માટે વધારાનો સમય તેમજ ‘ઓન ડ્યુટી’નો લાભ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હોવાનું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, બનાસકાંઠાના અધ્યક્ષ અભેરાજ પટેલે જણાવ્યું હતું.એક તરફ શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યને પ્રાથમિકતા આપીને નિયમો કડક બનાવી રહ્યું છે. તો બીજી તરફ શિક્ષક સંગઠનોનું કહેવું છે કે, રાષ્ટ્રીય મહત્વની વસ્તી ગણતરી જેવી કામગીરી માટે વ્યવહારુ નિર્ણય જરૂરી છે. હવે શિક્ષકોની રજૂઆત બાદ શિક્ષણ વિભાગ કોઈ ફેરવિચારણા કરે છે કે નહીં તે જોવું રહ્યું.

Share This Article