ખેડૂતોનો હુંકાર : બનાસકાંઠાના ધરતીપુત્રોમાં ભારે રોષ, પડતર માંગણીઓ મુદ્દે PMને આવેદન…

2 Min Read

બનાસકાંઠા કિસાન સંઘની મંજૂરી માટે ઉગ્ર રજૂઆત

સરકારે પડતર ૨૧ માંથી ૧૪ મુદ્દા સ્વીકાર્યા છતાં અમલ નહીં, બટાટાના ભાવ મુદ્દે પણ સરકાર નિષ્ક્રિય

બનાસકાંઠા જિલ્લામાં કુદરતી આફતો વચ્ચે પડતર પ્રશ્નો અને સરકાર દ્વારા અપાયેલા વચનોના અમલમાં વિલંબ સામે હવે ખેડૂતોમાં અસંતોષ ખુલ્લો દેખાઈ રહ્યો છે. ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા દ્વારા આગામી ૩૧ માર્ચના રોજ નાણી મુકામે પધારતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રૂબરૂ મળી આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગે ડીસા કિસાન સંઘના પ્રતિનિધિઓએ નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી આવેદન આપવા માટે મંજૂરી માગી છે.



કિસાન સંઘના આગેવાનોના જણાવ્યા મુજબ, ગત ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલા શક્તિ પ્રદર્શન બાદ સરકારના મંત્રીઓ ઋષિકેશભાઈ પટેલ અને જીતુભાઈ વાઘાણી સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતોના વર્ષોથી પડતર ૨૧ માંથી ૧૪ મુદ્દાઓ સ્વીકારવાની ખાતરી આપવામાં આવી હતી. આ આશ્વાસનના આધારે ખેડૂતોએ આંદોલન મોકૂફ રાખ્યું હતું.પરંતુ આજદિન સુધી સ્વીકારેલા મુદ્દાઓ અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. સાથે જ હાલમાં બટાટાના ભાવ તળિયે બેસતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે, છતાં આ મુદ્દે પણ સરકાર દ્વારા કોઈ નોંધ લેવામાં આવી નથી.

કિસાન સંઘના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે સરકારે માત્ર વચનો આપી ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. આ પરિસ્થિતિમાં હવે ખેડૂતોએ સીધા વડાપ્રધાન સમક્ષ પોતાની વેદના રજૂ કરવાનો નિર્ણય લીધો છે.ખેડૂતોનો રોષ જોઈ વહીવટી તંત્ર સાથે પોલીસ વિભાગમાં પણ હલચલ મચી છે.

જિલ્લાના દરેક તાલુકા મથકે રજૂઆતો

ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકા મથકો પાલનપુર, ડીસા,કાંકરેજ,દાંતા, ધાનેરા ખાતે પણ કિસાન સંઘના નેજા હેઠળ આજે ખેડૂતો દ્વારા અધિકારીઓને મંજૂરી માટે લેખિત રજૂઆતો કરવામાં આવી છે. ખેડૂતોના હિતના મુદ્દાઓ તાત્કાલિક ઉકેલવા માટે જિલ્લા સ્તરે પણ દબાણ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.પરંતુ ખેડૂતોને વડાપ્રધાનને આવેદનપત્ર આપવાની મંજૂરી જિલ્લા કલેકટર આપે છે કે નહીં ? તેના પર ખેડૂતોની નજર મંડરાઈ છે.

સંબંધિત સમાચાર

Share This Article