પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી: કર્મભૂમિ સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ઉભરાતી ભૂગર્ભ…

2 Min Read

અસહ્ય દુર્ગંધના કારણે રહીશોમાં ફેલાવાની ભીતિ સાથે પાલિકા તંત્ર સામે રોષ

ચોમાસા પૂર્વે તાત્કાલિક ધોરણે આ સમસ્યાના નિરાકરણ માટેની માંગ

પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પરની કર્મભૂમિ સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા સજૉઈ છે. માગૅ પર રેલાતા દૂષિત પાણીની દુર્ગંધથી સ્થાનિક રહીશોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સાથે પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ અનેક વખત નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. વિસ્તારના કોર્પોરેટરો સ્થળ મુલાકાતે આવી સ્થિતિની જાણકારી લઈ ફોટોગ્રાફી તો કરે છે, પરંતુ સમસ્યાના ઉકેલ માટે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવતી નથી તેવી ફરિયાદ રહીશોએ વ્યક્ત કરી છે. રહીશોના જણાવ્યા અનુસાર ચીફ ઓફિસર સાથે પણ બેઠક યોજાઈ હતી, જેમાં સ્ટોર્મ વોટર લાઈનો, ગટર લાઈનો અને ચેમ્બરોની સફાઈ કરાવવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે હજુ સુધી કોઈ કામગીરી શરૂ ન થતાં લોકોમાં નિરાશા ફેલાઈ છે.

ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી સોસાયટીના રહીશો વધુ ચિંતિત બન્યા છે. જો ભારે વરસાદ દરમિયાન સ્ટોર્મ વોટર લાઈનો અને ચેમ્બરો સાફ નહીં કરવામાં આવે તો સમગ્ર વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. જેના કારણે રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતાં લાખો રૂપિયાનું ફર્નિચર અને ઘરવખરીને નુકસાન થવાની પણ શક્યતા છે. સ્થાનિક રહીશોએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક ગટર લાઈનો, સ્ટોર્મ વોટર લાઈનો અને ચેમ્બરોની સફાઈ હાથ ધરી ઉભરાતી ગટરોની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ કરી છે. સાથે જ ચોમાસા પૂર્વે જરૂરી કામગીરી પૂર્ણ કરી વિસ્તારને સંભવિત જળબંબાકાર જેવી સ્થિતિમાંથી બચાવવા અપીલ કરવામાં આવી છે.

Share This Article