જીવદયાનો વિજય: પાલનપુર પાસે ૨૫૦ નવજાત ઘેટાં-બકરાનું દિલધડક…

2 Min Read

​‘મિશન કરુણા દિવસ’ ના સંકલ્પ સાથે મુંબઈ જતી ટ્રક રોકી : જીવોને રાજપુર- ડીસા પાંજરાપોળ ખાતે આશ્રય અપાયો

બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ અને સ્થાનિક જીવદયા કાર્યકર્તાઓની સતર્કતાને પરિણામે ગઈકાલે સાંજે એક સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આગામી ૨૭ મેના રોજ ઉજવાનારા ‘મિશન કરુણા દિવસ’ ના પવિત્ર સંકલ્પ સાથે, કતલખાને લઈ જવાતા ૨૫૦ જેટલા અબોલ જીવોને મોતના મોઢામાંથી ઉગારી લેવામાં આવ્યા છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે અરોમા સર્કલ પાસે ટ્રક (નંબર GJ 31 T 2307) ને રોકવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં અત્યંત નિર્દયતા અને ક્રૂરતા પૂર્વક ડબલ ડેકર ખાના બનાવીને ૨૫૦ જેટલા દૂધ પીતા નાના ઘેટા-બકરાના બચ્ચા ભરેલા મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ જીવોને ડીસાથી ભરીને મુંબઈના કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા. આ મામલે પોલીસે આરોપી સલમાનભાઈ મોહમદહુસેન શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.​આ ઓપરેશનમાં શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ અને વર્ધમાન સંસ્કાર ધામના કાર્યકર્તાઓ જોડાયા હતા.અને સ્વ. વીર ભરતભાઈ કોઠારીના અભિગમ મુજબ, કસાઈઓ સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વિના કે એક પણ રૂપિયો આપ્યા વિના, માત્ર કાયદાકીય સમજણ અને પોલીસની મદદથી આ અબોલ જીવોને બચાવવામાં આવ્યા હતા.રેસ્ક્યુ કરાયેલા ૨૫૦ જીવોમાંથી એકનું મોત નીપજ્યું હતું, જ્યારે બાકીના ૨૪૯ નવજાત જીવોને હાલ શ્રી રાજપુર- ડીસા પાંજરાપોળ ખાતે આશ્રય માટે મોકલી દેવાયા છે.

અબોલ જીવો માટે દાનની ટહેલ….

શ્રી રાજપુર – ડીસા પાંજરાપોળમાં હાલ ૯૦૦૦ થી વધુ અબોલ જીવોનું લાલન- પાલન થઈ રહ્યું છે.જેમાં ઘાસચારા અને નિભાવ માટે રોજનો અંદાજે ૪.૫ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. ત્યારે ​સંસ્થા દ્વારા જીવદયાના આ કાર્યને ટકાવી રાખવા માટે સમાજ અને દાતાઓને યથાશક્તિ દાન આપવાની અપીલ કરવામાં આવી છે, જેથી આ અબોલ જીવોનું યોગ્ય પાલન-પોષણ થઈ શકે.

Share This Article