BCCI: ડોમેસ્ટિક વનડે સીઝન પહેલા બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટને લઈને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે. હવે ટીમ ઈન્ડિયા તરફથી રમતા ખેલાડીઓ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું ફરજિયાત રહેશે. આ કારણે હવે બંને મહાન ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માએ વિજય હજારે ટ્રોફીમાં ભાગ લેવો પડશે.
બીસીસીઆઈના આ સંદેશ બાદ રોહિત શર્માએ મુંબઈ ક્રિકેટ એસોસિએશનને વિજય હજારે ટ્રોફીમાં રમવા માટે તેની ઉપલબ્ધતા વિશે જાણ કરી છે. જોકે, વિરાટ કોહલીની ઉપલબ્ધતા અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી. તેણે દિલ્હી ક્રિકેટ એસોસિયેશનને કોઈ માહિતી આપી નથી.
બીસીસીઆઈના એક અધિકારીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “બોર્ડ અને ટીમ મેનેજમેન્ટે બંનેને કહ્યું છે કે જો તેઓ ભારત માટે રમવા માંગતા હોય તો તેમને ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે. કારણ કે બંનેએ બે ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે, તેથી મેચ ફીટ થવા માટે તેમને ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે.” બીસીસીઆઈના આ સ્ટેન્ડથી સ્પષ્ટ થઈ ગયું છે કે કોઈ પણ ખેલાડીને ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા વિના ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવા દેવામાં આવશે નહીં.
વિરાટ કોહલી અને રોહિત શર્મા છેલ્લે ગયા મહિને ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં ભારત તરફથી રમતા જોવા મળ્યા હતા. આ સિરીઝમાં રોહિત શર્મા તેના જૂના રંગમાં જોવા મળ્યો હતો. તેણે એક અડધી સદી અને એક સદી ફટકારી હતી. આ માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝ પસંદ કરવામાં આવ્યો હતો. રોહિત સાથે વિરાટ કોહલી ફોર્મમાં પરત ફર્યો હતો. પ્રથમ બે મેચમાં ખાતું ખોલાવ્યા વિના તેણે છેલ્લી મેચમાં રનનો પીછો કરતી વખતે 74 રનની ઇનિંગ રમી હતી.
