ચક્રવાત ‘મોન્થા’ મંગળવારે સાંજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું છે.

2 Min Read
નવી દિલ્હીઃ ચક્રવાત ‘મોન્થા’ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટક્યું છે. મંગળવારે સાંજે, હવામાન વિભાગે પુષ્ટિ કરી કે તીવ્ર ચક્રવાતી વાવાઝોડાએ માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કર્યું છે.
ભારે પવન અને ભારે વરસાદ સાથે, આ વાવાઝોડું આગામી ત્રણથી ચાર કલાક સુધી દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે. કેન્દ્ર અને રાજ્ય વહીવટીતંત્રે રાહત ટીમો તૈનાત કરી છે, જ્યારે રેલવે અને એરપોર્ટ સત્તાવાળાઓએ સાવચેતીના પગલાં લીધા છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાત ‘મોન્થા’ ગંભીર ચક્રવાતી તોફાન તરીકે દરિયાકાંઠે અથડાઈ રહ્યું છે. પવનની ઝડપ 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે છે, જે ગસ્ટ્સમાં 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચે છે. પૂર્વ ગોદાવરી, પશ્ચિમ ગોદાવરી, કૃષ્ણા અને વિશાખાપટ્ટનમ જિલ્લામાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. વિભાગે પૂર અને નીચાણવાળા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ચેતવણી આપી છે.
વાવાઝોડાની અસરને કારણે રેલવે વિભાગે પૂર્વના ઘણા માર્ગો પર એલર્ટ જાહેર કર્યું છે. પરિસ્થિતિની સમીક્ષા કરતા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનો નિર્દેશ આપ્યો હતો. વિશાખાપટ્ટનમ, વિજયવાડા અને ગુંટુર ડિવિઝનમાં ઇમરજન્સી કંટ્રોલ રૂમને સક્રિય કરવામાં આવ્યા છે. એર ટ્રાફિકને પણ માઠી અસર થઈ છે. વિજયવાડા, વિશાખાપટ્ટનમ અને રાજમુન્દ્રી એરપોર્ટ પરથી 35 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જેમાંથી મોટાભાગની ઈન્ડિગોની છે.
સ્થાનિક પ્રશાસને દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને રાહત શિબિરોમાં મોકલવાનું શરૂ કરી દીધું છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ (SDRF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમો તૈનાત કરવામાં આવી છે. લોકોને તેમના ઘરની બહાર ન નીકળવા અને વહીવટી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. સાવચેતીના પગલારૂપે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય.
Share This Article