અંધશ્રદ્ધામાં હિંસા ભારે પડી: પાટણના હુમલા કેસમાં આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી…

1 Min Read

પાટણના વામૈયા ગામે મેલીવિદ્યાની શંકા રાખી થયેલા જીવલેણ હુમલાના કેસમાં કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આ કેસમાં મુખ્ય હુમલાખોરને મદદ કરનાર સફાઈ કામદાર ડાહ્યાભાઈ વાલ્મિકીની જામીન અરજી પાટણ સેશન્સ કોર્ટે ફગાવી દઈ તેને જેલહવાલે રહેવા આદેશ કર્યો છે.

15 એપ્રિલના રોજ જયેશ વાલ્મિકીએ તેના પિતાના મોત પાછળ મેલીવિદ્યા જવાબદાર હોવાની શંકાએ જીવનભાઈ પર તલવાર અને ધારિયાથી હુમલો કર્યો હતો.આ દરમિયાન આરોપી ડાહ્યાભાઈએ બચાવવા આવનાર સાક્ષીને પકડી રાખી હુમલામાં મદદગારી કરી હતી. ગંભીર રીતે ઘાયલ જીવનભાઈ હાલ અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે.

આરોપીના વકીલે સફાઈ કામદાર હોવા અને ઘરના એકમાત્ર કમાનાર હોવાની દલીલ કરી જામીન માંગ્યા હતા.જોકે, સરકારી વકીલ જે.ડી. ઠક્કરની દલીલોને ગ્રાહ્ય રાખી એડિશનલ સેશન્સ જજ એમ.આઈ. શેખે નોંધ્યું હતું કે, તપાસ હજુ પ્રાથમિક તબક્કે છે અને આરોપીને મુક્ત કરવાથી સાક્ષીઓ ડર અનુભવી શકે છે. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી કોર્ટે જામીન અરજી ના-મંજૂર કરી હોવાનું જાણવા મળ્યું છે.

Share This Article